અંકલેશ્વર જીઆઇડીસી એસ્ટેટ કેમિકલ એસ્ટેટ છે. તેમાં 70,000 ઉપરાંતની વસ્તી ધરાવતો રહેણાંક વિસ્તાર છે. તે ઉપરાંત સારંગપુર, કોસમડી, ભડકોદ્રા, જીતાલી, કાપોદ્રા ગામમાં પણ ઇન્ડસ્ટ્રીઝને લઈને ખુબ મોટા પ્રમાણમાં લોકો રહે છે. પરંતુ અનુભવે એવું સમજાયું છે કે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ અને રહેણાંક વિસ્તાર વચ્ચે સેફ ઝોન હોવો જોઈએ.
તાજેતરમાં જ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનાતેમજ ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના માજી પ્રમુખ એન . કે. નાવડીયાએ રાજ્ય સરકારના અર્બન ડેવલપમેન્ટ વિભાગમાં રજુઆત કરી છે કે ગુજરાત ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સના નિયમોમાં સુધારો કરી ઔદ્યોગિક વિસ્તારની ચારે તરફ 500 મીટરનો બફર ઝોન ફરજીયાત બનાવાય તો ઔદ્યોગિક અકસ્માતોના સમયે જાનહાની રોકી શકાય તેમ છે. તેમની આ માંગ તેમના લોમ્બા સમયના અનુભવનું પ્રતિબિંબ છે.
ભોપાલ ગેસ દુર્ઘટના સમયે પવનની દિશામાં આવેલ નજીકના વિસ્તારો ભારે પ્રભાવિત થયા હતા. તેમજ બીજા પણ અકસ્માતો સમયે નજીકના લોકો જ સૌથી વધારે પ્રભાવિત બને છે. આથી નિશ્ચિત બફર ઝોન રાખવો ખુબ આવશ્યક છે. ઔદ્યોગિક વિસ્તારોમાં આગ, ઝેરી વાયુ ગળતર, કેમિકલ લીકેજ જેવી મોટી હોનારત સમયે જાનમાલની સુરક્ષા માટે આ બફર ઝોન જરૂરી છે. સામાન્ય રીતે કોઈ એસ્ટેટની બહાર કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ સ્થાપે તો તેને 500 મીટરના વિસ્તારમાં રહેણાંક વિસ્તાર ના હોવો જોઈએ તેવી અપેક્ષા રખાય છે. જયારે ખુબ મોટા કેમિકલ ઝોન હોવા છતાં તેની નજીક કોમર્શિયલ અને રહેણાંક વિસ્તાર ઉભા કરાય છે. આ બાબતે ગંભીરતા દાખવવાની જરૂર છે.

કોઈ પણ બ્લાસ્ટ કે મોટી દુર્ઘટના સમયે ફાયર બ્રિગેટ કે ઈમરજંસી વાહનોની અવરજવર માટે આ ખુલ્લી જગ્યા લાઈફલાઈન સાબિત થાય છે. આ 500 મીટરના પટ્ટામાં ગ્રીન બેલ્ટ વિકસાવી વૃક્ષો ઉગાડવાથી વાયુ પ્રદુષણને વસ્તી સુધી પહોંચતું અટકાવી શકાય છે. તેની માત્રામાં ઘટાડો કરી શકાય છે.
અત્યારે તો સ્થિતિ આવી છે કે 500 મીટરના બદલે 100 મીટરના ગ્રીનબેલ્ટ માટે ફાળવાયેલ જગ્યામાં પણ યેનકેન પ્રકારે બિલ્ડિંગોનું નિર્માણ કરી દેવાય છે. અંકલેશ્વર એસ્ટેટમાં એક વખત જે ગ્રીન બેલ્ટ હતો ત્યાં સંસ્થાઓની કે સરકારી ઇમારતો ઉભી કરી દેવામાં આવી છે. દિવસે દિવસે આ ગ્રીન બેલ્ટમાં ઘટાડો થઇ રહ્યો છે. એટલેકે એક વખત જેને ગ્રીન બેલ્ટ કે બફર ઝોન જાહેર કર્યો હોય તેનું સખતાઈથી પાલન થવું જોઈએ.
થોડા સમય પહેલા GIDC એ એસ્ટેટમાં 11 માલ સુધીના બાંધકામ કરવા માટેની છૂટ આપી છે. અંકલેશ્વર એસ્ટેટમાં જમીન અને પ્લોટના ભાવ આસમાને છે. એટલે અહીં બહુમાળી મકાન બનશે તે સ્વાભાવિક છે. જેના પરિણામે વસ્તીની ગીચતા વધશે જે ભવિષ્ય માટે ખતરનાક છે. મોટા અકસ્માતો એક જ વખત બનતા હોય છે. અચાનક બનતા હોય છે.