અંકલેશ્વર,૨૦ ગુજરાતના ઔદ્યોગિક તથા સામાજિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર આદરણીય ડાહ્યાભાઈ આણંદપુરાના ઉચ્ચ વિચારોને સમાજોપયોગી કાર્યોમાં સાકાર કરવા માટે રચવામાં આવેલા ‘શ્રી ડી. એ. આણંદપુરા વિચાર મંચ’ની પ્રથમ વિષય મંથન બેઠકનું ગતરોજ અંકલેશ્વરના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલા શ્રીમતી પી. ડી. શ્રોફ સંસ્કારીપ વિદ્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે મંચના ઉદ્દેશો અંગે ચર્ચા કરતાં જણાવાયુ હતુ કે, “જે લોકો ભલા થયા કે ભલું કરવા પ્રયત્ન કરતા હોય તે સૌને સહાય કરવી”ના વિચારને કેન્દ્રમાં રાખી સમાજના વિવિધ ક્ષેત્રોમાં રચનાત્મક અને સમાજોપયોગી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવશે.
બેઠકમાં ઔદ્યોગિક વિકાસ અને સામાજિક ઉત્તરદાયિત્વ સહિતના વિવિધ વિષયો પર મંથન કરવામાં આવ્યુ હતુ. અંકલેશ્વર જેવા ઔદ્યોગિક શહેરના વિકાસ સાથે શિક્ષણ, સમાજસેવા, યુવા સશક્તિકરણ, પર્યાવરણ તથા જરૂરિયાતમંદ વર્ગોના ઉત્થાન જેવા ક્ષેત્રોમાં પણ સક્રિય યોગદાન આપી શકાય તે અંગે વિચારો રજૂ કરવામાં આવ્યા હતા.

મંચના સંકલનકારોએ જણાવ્યુ હતુ કે, ડાહ્યાભાઈ આણંદપુરાના વિચારો માત્ર સ્મરણ પૂરતા ન રહે પરંતુ નવી પેઢી સુધી પહોંચે અને તેમના વિચારોને આધારે સમાજહિતના કાર્યોનું આયોજન થાય તે મંચનો મુખ્ય ઉદ્દેશ છે. આ માટે વિવિધ ક્ષેત્રના વિચારશીલ અને સેવાભાવી લોકોને એક મંચ પર લાવી નિયમિત રીતે વિષય મંથન બેઠકો યોજવામાં આવશે.
પ્રથમ બેઠકમાં ઉપસ્થિત સભ્યોએ મંચની આગામી પ્રવૃત્તિઓ અંગે સૂચનો રજૂ કરી સમાજ માટે ઉપયોગી અને પરિણામલક્ષી કાર્યો હાથ ધરવા અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ રીતે અંકલેશ્વરની ઔદ્યોગિક ભૂમિ પર શ્રી ડી. એ. આણંદપુરા વિચાર મંચ’ના માધ્યમથી વિચાર, સેવા અને સામાજિક ઉત્તરદાયિત્વને એકસાથે આગળ ધપાવવાની નવી પહેલનો પ્રારંભ થયો છે.
ઔદ્યોગિક વિકાસ સાથે સામાજિક ઉત્તરદાયિત્વને વેગ આપવા વિચારવિમર્શ