મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના જમીયતપુરા ગામે આવેલી કોમન હેઝાર્ડસ વેસ્ટ ડિસ્પોઝલ ફેસિલિટી ચલાવતી મૌર્ય એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડ સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે. વારંવારની સૂચનાઓ અને ભૂતકાળમાં અપાયેલા ક્લોઝર ઓર્ડર છતાં પર્યાવરણીય નિયમોના વારંવાર ઉલ્લંઘનને લઈને કંપનીને તાત્કાલિક અસરથી બંધ કરવા અને તેનું વીજ જોડાણ કાપી નાખવા જીપીસીબીના મેમ્બર સેક્રેટરી દીપાલી ટાંક દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.

બાલાસિનોરના જમીયતપુરા ગામમાં આવેલી મૌર્ય એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડની મેથી જુલાઈ ૨૦૨6 દરમિયાન કરવામાં આવેલી પાંચથી વધુ આકસ્મિક તપાસમાં કંપનીની ગંભીર બેદરકારીઓ સામે આવી હતી. સૌથી ગંભીર બાબત કંપનીએ તેની મંજૂર ક્ષમતા ૪,૮૫,૪૫૬ મેટ્રિક ટન સામે આશરે ૫,૪૦,૯૩૯ મેટ્રિક ટન જોખમી કચરો સ્વીકારીને નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે. આ ઉપરાંત, કંપનીનું એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ હાલતમાં મળી આવ્યું હતું અને ઝેરી પાણી (લીચેટ) ના નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા નહોતી.
આ આદેશ મુજબ જો કંપની ૪૮ કલાકમાં તેની પ્રોસેસ સેફ્ટી સાથે પ્લાન્ટ બંધ નહીં કરે તો તેની સામે વધુ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાએ પર્યાવરણના ભોગે નફો કરતી કંપનીઓ માટે દાખલારૂપ કાર્યવાહી કરી છે.