લઘુ ઉદ્યોગ ભારતી સહિતની ઔદ્યોગિક સંસ્થાના પ્રતિનિધીઓએ સરકારને આ અંગે તાજેતરમાં રજૂઆત કરી હતી.
ગુજરાત સરકારે નશાબંધી અને આબકારી ખાતાના નાયબ નિયામક સહિત પાંચ અધિકારીને ગુરુવારે પદ પરથી દૂર કરતો હુકમ કર્યો છે. આ અધિકારીઓને હાલ પ્રતિક્ષા યાદીમાં મુકી દેવાયા છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ નશાબંધી વિભાગના નાયબ નિયામક કેતન દેસાઇ છેલ્લા ઘણાં સમયથી ઔદ્યોગિક આલ્કોહોલના વપરાશ અને ટ્રાન્સપોર્ટેશનની પરમિટ માટે ઉદ્યોગકારોને કનડી રહ્યા હતા. આ અંગે વિવિધ સ્તરેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુધી ફરિયાદ પહોંચી હતી. આ મામલે બુધવારે સંઘવીએ પોતાના તાબાના અધિકારીઓને બોલાવીને આ મુદ્દે ચર્ચા કરી હતી અને આવી ગેરરીતિમાં જેમના વિરુદ્ધ આક્ષેપો થયા છે તેવા તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી હટાવી દેવાના આદેશ આપ્યા હતા.
લઘુ ઉદ્યોગ ભારતી સહિતની ઔદ્યોગિક સંસ્થાના પ્રતિનિધીઓએ સરકારને આ અંગે તાજેતરમાં રજૂઆત કરી હતી. સંસ્થાના સૂત્રોના જણાવ્યા અનુસાર પરવાનાની પ્રક્રિયાનું વિકેન્દ્રીકરણ કરાયા છતાં આ અધિકારીઓએ તેનું સેન્ટ્રલાઇઝેશન કરી દીધું હતું. એટલે કે આવી પરમિટ લેવા માટે ઉદ્યોગકારોએ ફરજિયાત ગાંધીનગરના ધક્કા ખાવા પડે અને કામ પાર પડાવવા માટે મોટી રકમમાં લાંચ આપવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.
આ ઉપરાંત ઉદ્યોગોમાં આ વપરાશમાં આવેલાં આલ્કોહોલિક રસાયણોના વપરાશ તેમજ સ્ટોરેજની બાબતે પણ ફિલ્ડના અધિકારીઓ ગાંધીનગરમાં બેસતા અધિકારીઓના ઈશારે ઉદ્યોગકારોને પરેશાન કરી રહ્યા હોવાની રજૂઆત પણ કરાઇ હતી.

આ અધિકારીઓના ત્રાસનો ભોગ ગુજરાતની ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી બની હતી. મોટા ઉદ્યોગગૃહોને તેનાથી કોઇ ફરક પડતો ન હતો પરંતુ નાના ફાર્મા એકમોની વિશેષ પહોંચ ન હોવાથી આવા અધિકારીઓ તેમને પરેશાન કરતા રહેતા હતા. ખોટા કેસમાં ફસાવી દેવાથી માંડીને અન્ય કનડગત ફિલ્ડના અધિકારીઓ કરતા રહેતા હતા. દવાઓ ઉપરાંત સેનિટાઇઝર, વાઇપ્સ, જેવા ઉત્પાદનો સાથે સંકળાયેલા નાના યુનિટ્સ સતત ફફડતા રહેતા હતા.
ફરજ પરથી હટાવી દેવાયેલ અધિરીઓમાં કેતન દેસાઈ- નાયબ નિયામક, અમિતા પટેલ-મદદનીશ નિયામક, વિપુલ પટેલ-ઇન્સ્પેક્ટર, અનિલ ગનવા-ઇન્સ્પેક્ટર અને શૈલેષ રબારી- ઇન્સ્પેક્ટર નો સમાવેશ થાય છે.