દહેજ PCPIR માં જાગેશ્વર ખાતે નૌયાન શીપયાર્ડની લોક પર્યાવરણ સુનાવણી યોજાઈ ગઈ
1465 કરોડના ખર્ચે વિસ્તરણ કરવામાં આવશે
તારીખ 15 મી મેં ના રોજ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જાગેશ્વર ખાતે આવેલ નૌયાન શીપયાર્ડ પ્રાઇવેટ લિમિટેડની લોક પર્યાવરણ સુનવણી યોજાઈ ગઈ. જેમાં ખુબ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો અને પોતાના પ્રશ્નોની રજુઆત કરી. કેટલાક લૅન્ડલુઝર્સોએ નારાજગી વ્યક્ત કરી સુનાવણીનો બહિષ્કાર કરી સ્થળ છોડી જતા રહ્યા હતા.
આ લોક પર્યાવરણ સુનાવણી નાયબ કલેક્ટર અને ડિવીઝનલ મેજિસ્ટ્રેટ એમ .એન. માનાણીની અધ્યક્ષતામાં તેનું સંચાલન જીપીસીબી ના પ્રાદેશિક અધિકારી કે.એન . વાઘમશી દ્વારા કરવામાં આવ્યું હતું.
નૌયાન શીપયાર્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્ટેપ ડાઉન સંપૂર્ણ માલિકીની પેટ કંપની છે. કંપનીનો કુલ પ્લોટ વિસ્તાર આશરે 78.2 હેક્ટર છે. તેમાં આશરે 1000 મીટર લાંબો દરિયાકિનારો (વોટર ફ્રન્ટેજ) ઉપલબ્ધ છે. આ કંપની રિલાયન્સના દહેજ ખાતેના ઉત્પાદન પ્લાન્ટની નજીક આવેલ છે.
કંપની દ્વારા હાલની જેટીમાં ફેરફાર અને વિસ્તરણ કરવામાં આવશે. મીઠાના હેન્ડલિંગ માટે હાલની જેટીમાં વધારો કરવામાં આવશે. તેમજ શિપ અનલોડર્સ અને કન્વેયર બેલ્ટની સ્થાપના કરવામાં આવશે. એમાં પ્રવાહી રસાયણો અને કન્ટેનર કાર્ગોના હેન્ડલિંગ માટે જેટીનું લગભગ 230 મીટર વિસ્તરણ સામેલ છે. પેટ્રો કેમિકલ હેન્ડલિંગ માટે શિપયાર્ડ પરિસરમાં સ્ટોરેજ ટેન્કો અને પાઈપલાઈન તૈયાર કરવામાં આવશે.
કુલ કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા 6.15 TP A હશે, જેમાં 2.5 MTA મીઠું, 2.75 TPA પેટ્રો કેમિકલ ઉત્પાદનો અને 0.9 TPA કંટેઈનર અન્ય કાર્ગોનો સમાવેશ થાય છે.

આ વિસ્તારના ઉદ્યોગોનું મીઠું મુખ્ય રો મટેરીઅલ છે. કચ્છ અને બીજા ભાગોમાંથી મીઠું રોડ મારફતે લાવતા તે ખર્ચાળ અને બીન કાર્યક્ષમ કાર્ય છે. દરિયા આધારિત મીઠું અને રાસાયણિક હેન્ડલિંગ ઇન્ફ્રાસ્ટ્રચરના વિકાસથી લોંજે સ્ટીક ખર્ચ, રસ્તા ઉપરની ભીડ અને કાર્બન ફૂટપ્રિન્ટ ઓછી થશે તેવું કંપનીનું માનવું છે.
લેન્ડલૂઝર્સોએ ફરી નોકરી માટે ઉગ્ર રજુઆત કરી
આ લોક પર્યાવરણ સુનાવણીમાં આ કંપનીના લેન્ડ લુઝર્સોએ પુન: નોકરી માટે ઉગ્ર માંગ કરી હતી. કેટલાક લેન્ડલુઝર્સો લોક પર્યાવરણ સુનાવણીનું સ્થળ છોડીને વોકઆઉટ કર્યું હતું. તેમનું કહેવું હતું કે આ વિસ્તારમાં અગાઉ પણ અનેક લોક પર્યાવરણ સુનાવણીઓ થઇ છે. લોકોએ રજૂઆતો કરી છે. પરંતુ એક પણ પ્રશ્નનો ઉકેલ નથી આવતો અને કંપનીઓને મંજૂરીઓ મળી જાય છે. તેથી આવી લોક પર્યાવરણ સુનાવણીમાં પ્રશ્ન કરવાનો કોઈ અર્થ રહેતો નથી.
આ કંપની અગાઉ એબીજી શિપયાર્ડના નામે કાર્યરત હતી. પછી તેને નાદારીમાં લઇ જતા તેને બંધ કરવામાં આવી હતી. તે કંપની પછી વેલ્સપને લીધી હતી અને પછી નૌયાન શિપયાર્ડે લીધી હતી. કંપની પ્રતિનિધી રસેશ દેસાઈએ જણાવ્યું હતું કે જયારે કંપની હેન્ડ ઓવેર કરવામાં આવી ત્યારે કંપનીને બધા બોજમાંથી મુક્ત કરીને સોંપવામાં આવી હતી. તેથી કંપનીની કોઈ જવાબદારી બનતી નથી તેમ સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું. તેમના આ જવાબથી થોડાઘણા લેન્ડલુઝર્સો હાજર હતા તે ડઘાઈ ગયા હતા.
ત્યારબાદ કંપનીએ એવો દિલાસો આપ્યો હતો કે કંપનીએ નક્કી કરેલ માપદંડમાં આવતા હશે અને તેની સાથે મેળ બેસશે તો અમે તેમને પ્રથમ તક આપીશું. અમે તેમને સમાવવાનો મહત્તમ પ્રયાસ કરીશું.
આ જમીન જીઆઇડીસી દ્વારા લેવામાં આવી છે અને લેન્ડ લૂઝર્સની જવાબદારી જીઆઇડીસીની છે તેથી તેને આ બાબતનો જવાબ આપવો જોઈએ અને ઘટતું કરવું જોઈએ.
ત્યારપછી સામો એવો સવાલ કરાયો હતો કે રિલાયન્સ કંપની અહીં 25 વર્ષથી કાર્યરત છે. આસપાસના ગામના કેટલા યુવાનોને કાયમી નોકરીમાં રાખવામાં આવ્યા. આંગળીના વેઢે પણ ગણી શકાય તેટલા લોકો નથી. તે બતાવે છે કે કંપનીને સ્થાનિકોને લેવામાં કોઈ રસ નથી.
નવી બનનાર કંપનીમાં વધારેમાં વધારે સ્થાનિકોને તેમાં પણ અસરગ્રસ્ત વિસ્તારના લોકોને લેવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી.
નાયબ કલેક્ટર માનાણીએ સૂચના આપી હતી કે આ વિસ્તારમાં ક્યાં યુવાનોને નોકરીની જરૂર છે અને કોને કેટલો અભ્યાસ કરેલ છે તેનું લિસ્ટ બનાવીને મને મળવા માટે આવો આપણે આ દિશામાં જરૂરથી કૈક કરીશું.
અગાઉની લોક પર્યાવરણ સુનાવણીઓમાં આ બાબતમાં એક સરસ જવાબ આપવામાં આવતો હતો કે આ વિસ્તારમાં કોણ કોણ લેન્ડ લૂઝર્સ છે. કઈ કઈ કંપનીમાં કોની કોની જમીન ગઈ છે.તેમજ આ વિસ્તારના નોકરીવાંચ્છુ યુવાનોના લિસ્ટ તેમજ તેમની લાયકાતના ડેટા તૈયાર કરતુ એક સોફ્ટવેર બનાવી તેમાં ડેટા એકઠા કરાઈ રહ્યા છે. જેવા ડેટા એકઠા થઇ જશે તમારો પ્રશ્ન ઉકલી જશે. કારણકે બધું જ આંગળીના વેઢે હશે. પરંતુ તે નાયબ કલેક્ટરની બદલી થઇ ગઈ. પછી તે સોફ્ટવેરનું શું થયું તે કોઈને ખબર નથી. જો આ ડેટા તૈયાર થઇ ગયા હોય તો તેનો અમલ કરાવવા જેવો ખરો.
જો કે એક ભાઈએ કંપનીઓ સ્થાનિકનો બાયોડેટા જોઈને જ તેને રિજેક કરે છે તેવી ફરિયાદ કરી હતી.
જો કે સ્થાનિકોએ પણ કેટલાકને બેઠા બેઠા પગાર લેવાની ઈચ્છા હોય છે આ નીતિ છોડવી પડશે. અમે આવા લોકોના પક્ષમાં નથી. તેમ પણ જણાવ્યું હતું.
સ્થાનિક ની વ્યાખ્યામાં આખા ગુજરાતના લોકો આવે છે પરંતુ અસરગ્રસ્ત વિસ્તારના લોકોને પ્રથમ પસંદગી આપવી જોઈએ તેવી પણ દલીલ કરાઈ હતી.
લુવારા અને લખીગામ થી એક કિલોમીટર સુધી કોઈ કંપનીને મંજૂરી નહિ આપવાનો આદેશ હોવા છતાં અમલ કેમ થતો નથી
અગાઉ કંપનીની જગ્યામાં લોકોએ ખેતી કરી હોવાથી પોલીસદળ ઉતારીને ઉભોપાક કાપી લઈને જગ્યા અપાવી હતી. તો પછી અમારા ગામની તળાવની જમીન કેમ કંપનીને આપી છે તેવો વેઠક પ્રશ્ન કર્યો હતો. તેને લઈને લોકોને ઘણી તાકલોફોનો સામનો કરવો પડે છે.
જયારે યશશ્વી રસાયણમાં આગ લાગી ત્યારે NGT દ્વારા એક કમિટી બેસાડવામાં આવી હતી. તેમાં સ્પષ્ટ જણાવાયું હતું કે લુવારા અને લખીગામના રહેણાંક વિસ્તારથી એક કિલોમીટરના વિસ્તારમાં કંપની સ્થાપવાની મંજૂરી આપવી ના જોઈએ. તો પછી આ કંપની અમારા ગામથી એક કિઓમીટર કરતા ઓછા અંતરે આવેલ છે. તો તેને કેમ મંજૂરી આપવામાં આવી રહી છે. કંપનીનું કહેવું હતું કે આ કેમિકલ પ્લાન્ટ નથી ફક્ત જેટી છે. પરંતુ જેટીમાં પણ હેઝાર્ડસ કેમિકલનું હેન્ડલિંગ થવાનું છે. GPCB એ જણાવ્યું હતું કે તેનો નિર્ણય ઉપરની ઑથોરિટી કરશે. અમે તમારા વિરોધનો રિપોર્ટ ઉપર મોક્લાવીશું. જો કે તેમના જવાબથી લોકોને સંતોષ થયો ન હતો.
એક સાથે પ્રશ્નો પૂછો એક સાથે છેલ્લે જવાબો આપવાની રીતથી અસરગ્રસ્તો ભારે નારાજ
લોક પર્યાવરણ સુનાવણીમાં લોકો પ્રશ્ન પૂછી જવાબ મેળવવાની આશા રાખતા હતા. પરંતુ GPCB ના પ્રાદેશિક અધિકારી અને નાયબ કલેક્ટરે એક વખત તમે બધા પ્રશ્નો પૂછી લો પછી એક સાથે જવાબ આપવામાં આવશે તેવો અભિગમ અપનાવતા લોકો ખુબ જ નારાજ થઇ ગયા હતા. કેટલાક લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરતા પ્રશ્ન પૂછવાનું છોડી દીધું હતું.
જો કે સામાન્ય રીતે લોક પર્યાવરણ સુનાવણીમાં લોકો પ્રશ્ન પૂછે તેના અનુસંધાને તરતજ જવાબ અપાતા હોય છે. જેથી કોઈએ પેટા પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે. જો કે લોકપર્યાવરણ સુનાવણી ખુબ જ લાંબી સવા વાગ્યા સુધી ચાલી હોવાથી કેયાલય પ્રશ્ન પૂછનાર અસરગ્રતો જવાબ સાંભળવાની રાહ જોયા વગર સ્થળ છોડી ચાલ્યા ગયા હતા.
કંપનીની શાખના પ્રમાણમાં આસપાસના ગામોમાં CSR ઓછું કરતા હોવાની ફરિયાદ
લોકોએ આવી પણ ફરિયાદ કરી હતી કે કંપની ખુબ મોટી જગ્યામાં વિસ્તરેલ છે. કંપનીની સરહદો કેટલાય ગામની ભાગોળોને સ્પર્શે છે. કંપનીનું અહીંનું ટર્નઓવર પણ ખુબ મોટું છે. કંપનીનો નફો પણ સારો છે. પરંતુ કંપની તેના પ્રમાણમાં CSR માં ખુબ ઓછો ખર્ચ કરે છે. કંપનીએ એક હોસ્પિટલ બનાવી હતી. કંપની ધારત તો તે એકલા હાથે હોસ્પિટલ ચલાવવા માટે સક્ષમ હતી. પરંતુ હોસ્પિટલ બંધ થઇ ગઈ. આ તો સારું છે કે દિપક ગ્રૂપે જવાબદારી લીધી અને ફરીથી કાર્યરત થઇ.
આ વિસ્તારમાં કંપનીએ CSR ના કરેલ કામો જણાવવા કહ્યું હતું પરંતુ કંપની સચોટ જવાબ આપી શકી નોહતી.. કંપનીએ મહિલા સશક્તિકરણના ભાગરૂપે સિલાઈના ક્લાસ અને બ્યુટીપાર્લરના ક્લાસ ચલાવી સ્વરોજગારી માટે મહિલાઓને આત્મનિર્ભર બનાવતી હોવાની માહિતી આપી હતી.