અંકલેશ્વર એસ્ટેટના ડી.એ . આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થીએટર ખાતે તારીખ 18 મી એપ્રિલે ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા ખોડલધામ વિઝન એવા ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર વિષે માહિતી આપવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
નરેશ પટેલે પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે ૪૩ એકર જગ્યા આમ તો સરકાર પાસેથી આપણે શિક્ષણ માટે લીધી હતી. તેમાં પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણનું કાર્ય કરવાનું હતું. શિક્ષણનું મોટું ધામ બનાવવાનું હતું. તેમાં એવી પણ સલાહ આવી કે શિક્ષણનું રાખો, રૂપિયાની કદી ખોટ નહીં પડે. શિક્ષણ અત્યારે કોમર્શિયલ થઈ ગયું છે. પરંતુ મંથનને અંતે હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું. અત્યારે હોસ્પિટલમાં અંદર ગયા પછી કેટલું બિલ બનશે તે નક્કી નથી. સામાન્ય લોકો તેના ખર્ચથી પાયમાલ થઈ જાય છે. ઈલાજની પણ કોઈ ગેરંટી નથી હોતી. દેશમાં કેટલીક હોસ્પિટલો છે. જે ટ્રસ્ટ દ્વારા ચાલતી હોય, વ્યાજબી ભાવ હોય અને ૧૦૦ ટકા પરિણામ આપતી હોય. અમે તેને અનુસરીશું.
તેમણે માહિતી આપતા જણાવ્યું કે અમે દેશમાં ૨૭ હોસ્પિટલોની મુલાકાત લીધી. તેમાં ૭ થી વધારે ટાટા મેમોરિયલની હતી. તેમાંની એક કલકત્તાની ટાટા મેમોરિયલની કેન્સર હોસ્પિટલ છે. જેનું મોનીટરીંગ રતન ટાટા પોતે કરતા હતા. જેમાં પ્રાઇવેટ અને પબ્લિક એમ બે વિભાગ છે. જે સક્ષમ છે, ખર્ચ ભોગવી શકે તેમ છે. તેમના માટે પ્રાઇવેટ છે. સામાન્ય અને ગરીબ વર્ગ માટે રાહત દરે ઈલાજ કરાય છે, અમે તેના ડિરેક્ટરને પૂછ્યું કે આનો ખર્ચ કેટલો છે. તેમણે જણાવ્યું કે વાર્ષિક રૂપિયા ૩૮૦૦ કરોડનું રેવન્યુ છે અને રૂપિયા ૩૭૯૦ કરોડનો ખર્ચ છે. એટલેકે નહિ નફો નહિ નુકસાન જેવી સ્થિતિ છે. આ વિઝન સાથે ખોડલધામ ટ્રસ્ટ હોસ્પિટલ ચલાવવા માંગે છે. દેશનો નાનામાં નાનો માણસ પણ અહીંથી સારવાર લઈ સંતોષપૂર્વક જાય તેવી ભાવના છે.
આ કાર્યક્રમમાં નરેશ પટેલે પ્રોજેક્ટની ટૂંકી ડોક્યુમેન્ટરી ફિલ્મ અને સ્લાઈડ શૉ વડે ઊંડાણપૂર્વકની માહિતી આપી હતી. માહિતી આપતા જણાવ્યું હતું કે ડો. રાજેન્દ્ર અચ્યુત બડવે આપણી સાથે ડાયરેક્ટરઃ તરીકે જોડાયા છે. બનારસમાં ટાટા મેમોરિયલની 600 બેડની હોસ્પિટલ છે. તેના પાયાથી આજ સુધી તેમને કાર્ય કર્યું છે. આપનો પ્રોજેક્ટ અને ઉદ્દેશ તેમને સમજાવ્યો પછી તેઓ આપણી સાથે જોડાવા તૈયાર થયા છે. ભારત સરકાર દ્વારા તેમને તબીબી ક્ષેત્રે તેમના ઉત્કર્ષ યોગદાન બદલ વર્ષ 2013 માં પદ્મશ્રી થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ આપણી સાથે જોડાયા તે આપણા માટે ગૌરવની વાત છે. તેમના વિશાલ અનુભવનો આપણને લાભ મળશે.
જાણીતી આર્કિટેક્ચર ફર્મ ADIFICE દ્વારા સંપૂર્ણ પ્રોજેક્ટની ઈન્ટીરીયર ડિઝાઇન કરવામાં આવશે. જેમાં મારા મગજને પસંદ હોય તેવા રંગ નહિ પરંતુ દર્દી માટે શું સારું છે તેવા કલર પસંદ કરાયા છે. 36 વર્ષ જૂની આ કંપનીએ 1800 જેટલા પ્રોજેક્ટ પર કાર્ય કર્યું છે. જેમાં એઇમ્સ , હેલ્થ સિટી અને કેન્સર સેન્ટર જેવી મેડિકલ ઇન્સ્ટ્રીટયુટને પણ સેવાઓ પુરી પડેલ છે.
શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ સૌરાષ્ટ્રનું પ્રથમ એવું કેન્સર સેન્ટર બનશે જે IGBC -ગ્રીન હેલ્થકેર સર્ટિફિકેટ મેળવવા માટે પ્રયત્નશીલ છે.
આપણી ભાવના એવી છે કે નાનામાં નાનું ઘર તેમાં ફાળો આપે. મંદિર બનાવતી વખતે આપણે બધા પાસેથી ફાળો લીધો પછી તે 10-15 રૂપિયા પણ હોય. જેથી એક ભાવના બની કે આ મંદિર મારુ છે. તેથી જ શ્રી ખોડલધામ વૈશ્વિક બ્રાન્ડ બની. ભાવના વગર બ્રાન્ડ ના બને. તેમને સૌ ઉદ્યોગકારો, બિલ્ડરો એન્ડ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ, સીએ તેમજ ધંધાદારીઓને પણ દાન આપી સહયોગ આપવા અપીલ કરી હતી.
ખોડલધામના સંગઠન અધ્યક્ષ અનારબેન પટેલે પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું કે કેન્સર હોસ્પિટલ બનાવવાનું નરેશભાઈનું સ્વપ્ન છે. આ દેશની સારામાં સારી હોસ્પિટલોમાંની એક હશે. પ્રાઇવેટ આધુનિક હોસ્પિટલો તો આપણે જોઈ હશે, પરંતુ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આધુનિક સુવિધાઓથી સભર સારામાં સારી હોસ્પિટલ હશે.
મારો અનુભવ છે અમે અમદાવાદ રહીએ એટલે હોસ્પિટલમાં કોઈની ખબર પૂછવા જઈએ ત્યારે હોસ્પિટલો કેવી રીતે તેમના સ્વજનો પાસે રૂપિયા ભરાવવા માટે ફરે છે. તેની વાતો સાંભળીએ છીએ. ગામમાં રહેલી મહામૂલી જમીન વેચીને લોકો રૂપિયા ભરે છે. હોસ્પિટલના ખર્ચાઓમાં કુટુંબ આર્થિક રીતે પાયમાલ થઈ જાય છે. જેવો મારો અનુભવ છે તેવો આપ સૌનો હશે જ.
રામ ભગવાન દ્વારા દરિયામાં સેતુ બનાવવાનું કાર્ય ચાલતું હતું ત્યારે એક ખિસકોલીએ તેમાં કેવી રીતે યોગદાન આપ્યું હતું તે આપણે સૌ જાણીએ છીએ. ખિસકોલી પાણીમાં શરીર પલાડી રેતમાં આળોટી તેના શરીર ઉપર જે રેત ચોંટે તે પથ્થરોની વચ્ચે જઈ આળોટી રેત ત્યાં છોડી દેતી. આ રીતે તેનું યોગદાન આપતી. તેના યોગદાનની રામ ભગવાને પણ પ્રશંસા કરી હતી. આ રીતે સમાજના દરેક વ્યક્તિના યોગદાનથી આ હોસ્પિટલ બને તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. દરેક ઘરમાંથી એક રૂપિયો તો આવવો જ જોઈએ જેથી તેને લાગે કે એ હોસ્પિટલમાં મારો પણ હિસ્સો છે.
પટેલ સમાજ સક્ષમ છે. જેમાં અનેક વાડા છે. નાના નાના ગામોના સમૂહ છે. જો કે તે પણ જરૂરી છે. જેથી નાનામાં નાના વ્યક્તિનું પણ ધ્યાન રહે. પરંતુ આગળ સૌ એક હોવા જોઈએ.
સરકાર આવા કાર્યો કરે પરંતુ સરકાર પણ સંસ્થાઓ અને એસોસિએશનો વગર અધુરી છે. તે પણ તેના કાર્ય સંસ્થાઓ અને એસોસિએશનો દ્વારા આસાનીથી કરાવી શકે છે. તેમનું અનન્ય મહત્વ છે.
તેમણે અંકલેશ્વર વિશે પોતાની બદલાયેલી છાપ વિશે પણ વાત કરી હતી. હું એવું માનતી હતી કે અંકલેશ્વર એટલે કેમિકલની વાસથી પ્રદૂષિત શહેર છે. પરંતુ અહીં આવીને જોતા મારી છાપ એકદમ બદલાઈ ગઈ. અંકલેશ્વરને ખૂબ સરસ રીતે વિકસાવવામાં આવ્યું છે. તેનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, બગીચા, રસ્તા બધું જ વ્યવસ્થિત અને સિસ્ટમેટિક છે. ગ્રીનરીથી ભરપૂર શહેર છે. તેમાં આપનો ફાળો અનન્ય હશે તેમાં બેમત નથી. અહીંના મોટાભાગના ઉદ્યોગકારોએ શૂન્યમાંથી સર્જન કર્યું છે. તેમાં પટેલ સમાજનું વિશેષ યોગદાન છે. તેમને પોતાની મહેનતના જોરે બધું ઉભું કર્યું તેમજ નવી આવનાર પેઢીને પણ પ્લેટફોર્મ પૂરું પડ્યું. તેમને ભરૂચ જિલ્લાના ઉદ્યોગકારો તેમજ સૌને હોસ્પિટલ માટે ડેન કરી સહયોગ કરવા અપીલ કરી હતી.
ચાર્ટર એકાઉટન્ટ રજનીકાંત કલસારિયાએ જણાવ્યું હતું કે આપણે ઇન્ડસ્ટ્રીઅલએરિયામાં રહીએ છીએ. જ્યાં ખુબ મોટા પ્રમાણમાં કંપનીઓ આવેલી છે. તેમને સીએસઆર વિષે માહિતી અપાતા જણાવ્યું હતું કે સીએસઆરના કાયદા મુજબ જે કંપનીનું વાર્ષિક ટર્નઓવર 1000 કરોડ રૂપિયા હોય અથવા જે કંપનીની સ્થાવર 500 કરોડની હોય કે પછી કંપનીનો વાર્ષિક નફો 5 કરોડ કે તેથી ઉપર હોય તેવી કંપનીઓ સીએસઆરના દાયરામાં આવે છે. તેમને તેમના ત્રણ વર્ષના નફાના સરેરાશ 2 ટકા રકમ સીએસઆર તરીકે ફરજીયાત વાપરવાની હોય છે. કંપની એક્ટના સિડ્યૂલ 7 મુજબ જ્યાં રકમ વાપરવાની હોય છે તેમાં આપણી કેન્સર હોસ્પિટલ માન્ય છે. તેથી કંપનીઓ આ હોસ્પિટલ માટે દાન આપી તેનો લાભ લે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આપણું ટ્રસ્ટ 15 વર્ષ જૂનું છે. તેની પાસે 12A , 80C ,CSR FORM -1 છે તેના લાભ મળ શ્રી ખોડલધામ ટ્રસ્ટની સારી અને સ્વચ્છ છાપ છે. તેથી કંપનીઓને તેમના CSR માંથી હોસ્પિટલ માટે ફાળો આપવા માટે સમજાવવા જોઈએ.
ટ્રસ્ટી હિંમતભાઇ શેલાડિયાએ સ્વાગત પ્રવચનમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના 11,000 લેઉવા પાટીદારના કુટુંબો વસવાટ કરતા હોવાની માહિતી અપાતા જણાવ્યું હતું કે દરેક કુટુંબ નાનામાં નાનો પણ ફાળો આપે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
શ્રી ખોડલધામ ટ્રસ્ટના દક્ષિણ ગુજરાત ઝોનના અધ્યક્ષ ભરતભાઈ પટેલે આભારવિધી કરી હતી. સાથે સાથે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં દહેજ, અંકલેશ્વર, પાનોલી, ઝગડીયા, સાયખા, નર્મદાનગર, પાલેજ, વાલિયા જેવી GIDC આવેલી છે. તેમાં ઘણીબધી કંપનીઓ સીએસઆરના દાયરામાં આવે છે. સૌએ સાથે મળી વધારેમાં વધારે દાન એકત્ર કરવા માટે પ્રયાસ કરવા આહવાન કર્યું હતું.
આ પ્રસંગે ટ્રસ્ટીઓ દિનેશભાઇ કુંભાણી-અમદાવાદ, રાજકોટથી હસમુખભાઈ લુણાગરિયા, બકુલભાઈ સોરઠીયા, મનોજભાઈ સાકરીયા, ભરતભાઈ બોદર તેમજ-જૂનાગઢથી ગોપાલભાઈ રૂપાપરા, અંકલેશ્વરના ભૂપત રામોલીયા, મનસુખભાઇ રાદડીયાઅને પંકજ ભુવા ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા કન્વીનર જયશીલ પટેલ, તેમજ ભરૂચ જિલ્લા અને અને નર્મદા જિલ્લાના કન્વીનરો, ઉદ્યોગકારો, બિલ્ડરો, ચાર્ટર એકાઉટન્ટો, ડોક્ટરો, કંપનીના ઉચ્ચ અધિકારીઓ, સહકારી-શૈક્ષણિક-સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.