ઈઝરાઈલ અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ લબટુ જાય છે અને તે વધારેમાં વધારે લંબાય તેવી શક્યતાઓ અને નિષ્ણાતોના અનુમાન છે. તેને લઈને આગામી દિવસોમાં કેવી સ્થિતિનું નિર્માણ થશે તેના અનુમાનથી નિષ્ણાતો ડરામણા સ્વપ્ન બતાવી રહ્યા છે. યુદ્ધનો ડાયરો સતત વધી રહ્યો છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલા અવરોધથી ભારતનો ગેસ સપ્લાય ખોરવાયો છે. આ કટોકટીમાં રાજ્યના ઉદ્યોગો ઠપ્પ ન થઈ જાય તે માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા ઉદ્યોગ જગતને મોટી રાહત આપતો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે.

ગેસ આધારિત ઉદ્યોગો હવે ગેસની અછત સામે લિક્વિડ ગેસ, LPG કે અન્ય માન્ય પ્રવાહી બળતણ વાપરી શકશે, આ ફેરફાર માટે ઉદ્યોગોએ CTE કે CCAની નવી મંજૂરી કે કન્સેન્ટમાં એમેન્ડમેન્ટ કરાવવાની જરૂર રહેશે નહીં, ઉદ્યોગોએ માત્ર પોતાની યુટિલિટી, કેપેસીટી અને વપરાશમાં લેવાનાર બળતણની વિગત બોર્ડને લેખિતમાં જણાવવાની રહેશે તેમજ ગેસની જેટલી ઘટ પડી હોય તેટલા જ પ્રમાણમાં વૈકલ્પિક બળતણ વાપરી શકાશે અને તેનો રેકોર્ડ રાખવો પડશે.
ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ સહિત તમામ ઉદ્યોગકારોએ જીપીસીબીના ચેરમેન અને મેમ્બર સેક્રેટરીને મળીને રજૂઆત કરતા ઝડપી નિર્ણય લેવા બાદલ તેમની સરાહના કરાઈ હતી.
જોકે, અહીં ઉલ્લેખનીય છે કે આ ૩ મહિનાનો ટ્રાયલ પિરિયડ છે. GPCBનો આ આદેશ ૬ માર્ચ, ૨૦૨૬થી આગામી ત્રણ મહિના માટે અમલી રહેશે. ત્યારબાદ પરિસ્થિતિની સમીક્ષા કરીને આગળનો નિર્ણય લેવાશે.