વાસદ-(વડોદરા) અને ભરૂચના દહેગામને જોડતાં નવા એકસપ્રેસ હાઈવેને પુનગામ (અંકલેશ્વર) સુધી ખુલ્લો મુકાયો છે. હવે 31મી ડિસેમ્બરની આસપાસ આ એક્સપ્રેસ વે ને પુનગામથી કીમ સુધી ખુલ્લો મુકી દેવાના ચક્રો ગતિમાન થયા છે. જેના કારણે વાસદથી સુરત તરફ જતાં વાહનોને ભરૂચ શહેરમાંથી પસાર થવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. અંક્લેશ્વર, હાંસોટ અને ઓલપાડ તરફથી જતાં અને આવતાં વાહનો પુનગામ પાસેથી નવા એક્સપ્રેસ વે ની કનેકટીવીટી મેળવી શકશે.

દિલ્હી અને મુંબઈને જોડતા નેશનલ એકસપ્રેસ હાઇવે પર હવે વાસદથી સીધા કીમ સુધી જઇ શકાશે. 31મી ડિસેમ્બરની આસપાસ પુનગામથી કીમ સુધીના માર્ગને ખુલ્લો મુકી દેવાશે તેમ હાઇવે ઑથોરિટીએ એક નાગરિકે પૂછેલા પ્રશ્ન જવાબમાં જણાવ્યું હતું. અત્યારે વાસદ તરફથી આવતાં અને જતાં વાહનોને પુનગામ પાસેથી હાઇવે પરથી નીચે ઉતરીને સુરત તરફ જવું પડતું હોય છે. સુરત તરફથી આવતાં વાહનો પુનગામ પાસેથી હાઇવે પર વાસદ તરફ જઈ શકે છે. હવે પુનગામથી કીમ સુધીનો માર્ગ તૈયાર થઈ જતાં 31પછી જયારે આ રસ્તો ખુલ્લો મુકાશે ત્યારે વાસદ તરફથી આવતાં અને જતાં વાહનો સીધા કીમ સુધી જઈ શકશે. આ માર્ગને ખુલ્લો મુકાતાં વાહનચાલકોનો ભરૂચ થઈને જવાનો 30 કિમીનો ફેરાવો ઓછો થઈ જશે અને ભરૂચ શહેરવાસીઓને એક્સપ્રેસ પરથી આવતાં વાહનોના ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. ભરૂચ શહેરમાં સર્જાતા ટ્રાફિકજામને નિવારવા માટે વાસદ - દહેગામ હાઇવેને પુનગામ સુધી ખુલ્લો મુકી દેવાયો હતો જેના કારણે વાહનચાલકોનો વાયા ભરૂચ થઇને જવાનો 30 કિમીનો ફેરાવો બચી જવાની સાથે દોઢ કલાકનો સમય બચી રહયો હતો. હવે વાહનો નવા હાઇવે પરથી સીધા કીમ સુધી જઈ શકશે.
ખાસ તો અત્યારે જે પહેલાના હાઇવે ઉપર ટ્રાફિકનું ભારણ છે તે પણ ઓછું થશે. કારણકે હવે સુરત જેવી મોટી સિટીનો ટ્રાફિક એક્સપ્રેસ વેનો ઉપયોગ કરવાની સંભાવનાઓ પ્રબળ બની છે.