સાયખા જીઆઇડીસી એસ્ટેટમાં આવેલ પ્લોટના વપરાશની સમય મર્યાદા વધારીને 31 જાન્યુઆરી 2027 કરવામાં આવી છે. જેથી ઉદ્યોગકારોમાં ખુશીની લાગણી છે. આ માટે અસોસિએસને વિવિધ જગ્યાએ સતત પોતાની રજૂઆતો કરી હતી અને પોતાનો પક્ષ રાખ્યો હતો. આખરે તેમાં સફળતા મળી તેનો સૌને આનંદ છે.
સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ઉપપ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે જીઆઈડીસીના આ નિર્ણયથી ઉદ્યોગકારોમાં આનંદની લાગણી છે. આ અમારી લાંબા સમયની માંગ હતી. અમે મુખ્યમંત્રી, જીઆઈડીસીના ઓફિસર, તેમજ તેની સાથે સંલગ્ન વ્યક્તિઓ કે જેમને અમને સહયોગ કર્યો છે તે સૌનો આભાર માનીએ છીએ.
સાયખાની બધી જ ઇન્ડસ્ટ્રીઝ માટે આ ખુબ સારો નિર્ણય છે. તેનાથી ઇન્ડસ્ટ્રીઝને તેમનો પ્લાન્ટ ઉભો કરવામાં મદદરૂપ થશે તેમજ સરકાર માટે વિકાસને આગળ વધારવામાં અને રોજગારી ઉભી કરવામાં સહાયરૂપ થશે.
#ADVERTISE
જીઆઇડીસી દ્વારા 20 મેં ના રોજ ખાસ સાયખા એસ્ટેટ માટે એક પરિપત્ર બહાર પાડીને સાયખાના ઉદ્યોગકારોને પ્લોટ વપરાશની સમય મર્યાદા વધારી આપવામાં આવી.
જીઆઇડીસી દ્વારા સાયખા ઔદ્યોગિક વસાહત ખાતે ઔદ્યોગિક પ્લોટોની ફાળવણી કરવામાં આવેલ છે, જેમાં ફાળવણીદારોને પ્લોટ ઉપર બાંધકામ કરીને નિયત સમયમાં વપરાશ શરુ કરવા માટે જીઆઇડીસીના નીતિ નિયમ મુજબ મોરેટોરિયમ સમયગાળો આપવામાં આવે છે. જે સમયગાળામાં પ્લોટનો વપરાશ ફાળવણીદારે કરવાનો રહે છે. પ્લોટની ફાળવણી કર્યા બાદ ફાળવણીદાર નિયત સમયગાળામાં પ્લોટનો વપરાશ કરી શક્યા ન હોય તો પ્લોટ વપરાશ માટેની સમયમર્યાદા વધારી આપવાની અરજી કર્યેથી નિગમની તા.૩૦.૦૩.૨૦૧૦ ની નીતિ મુજબ પ્લોટની ફાળવણી તારીખથી વધુમાં વધુ ૬ વર્ષ સુધી વણવપરાશી દંડ વસુલીને પ્લોટ વપરાશની સમયમર્યાદા વધારી આપવામાં આવે છે. ઉપરાંત, નિગમની તા.૧૮.૧૦.૨૦૨૪ ની નીતિમાં નિયત થયેલ જોગવાઇ અનુસાર સદર નીતિ બાદ ફાળવણી થયેલ પ્લોટમાં બાંધકામના નકશા મંજુર કરાવી બાંધકામ શરૂ કરેલ હોય તો દંડની વસુલાત વિના ફાળવણીથી ૬ વર્ષ સુધી વપરાશી સમયમર્યાદા વધારી આપવામાં આવે છે.
સાયખા ઈન્ડસ્ટીઝ એસોસિએશન તથા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ| દ્વારા સાયખા વસાહતમાં જરૂરી આંતરમાળખાકીય સુવિધાઓ જેવી કે, રોડ અને સ્ટ્રીટ લાઇટ, પાણી પુરવઠા અને ડ્રેનેજ નેટવર્ક, સીઇટીપી વગેરેની સુવિધાઓ નિયત સમયમાં ન મળવાના કારણે તથા ઉદ્યોગ સ્થાપવા હેતુ જરુરી મંજુરીઓ જેવી કે પર્યાવરણીય મંજુરી(EC-Environment Clearance) સંબંધિત વિભાગ પાસેથી મેળવવામાં વિલંબ થવાના કારણે મોરેટોરિયમ સમયગાળામાં પ્લોટનો વપરાશ કરી શકેલ ન હોવાથી પ્લોટ વપરાશની સમયમર્યાદા વધારી આપવાની. વારંવાર રજુઆત કરવામાં આવેલ. જે રજૂઆતો ધ્યાને લઇ ઔદ્યોગિક પ્રકારની મિલ્કતોમાં પ્લોટ વપરાશની સમયમર્યાદા વધારી આપવા બાબતે નિગમની ૫૨૧મી સભામાં ઠરાવ ક્રમાંક: ૧૦/પો.વિતરણ/પ૨૧ તા.૨૪.૦૪.૨૦૨૫ થી પસાર કરવામાં આવેલ છે, જે અન્વયે નીચે મુજબની નીતિ અમલમાં મુકવામાં આવેલ છે.
1) સદર નીતિનો લાભ સાયખા વસાહત ખાતેના ફાળવણીદારને જ મળવાપાત્ર રહેશે. જે પ્લોટ માટે મોરેટોરિયમ/વપરાશની સમયમર્યાદા પૂર્ણ થયેલ હોય અથવા મોરેટોરિયમ પૂર્ણ થનાર હોય અને નિગમના નીતિ નિયમ મુજબ પ્લોટનો વપરાશ કરેલ ન હોય તેવા તમામ ફાળવણીદારને સદર નીતિ હેઠળ અરજી કર્યેથી વણવપરાશી દંડની રકમ વસૂલ કર્યાં વિના પ્લોટના વપરાશની સમયમર્યાદા તા.૩૧.૦૧.૨૦૨૭ સુધી વધારી આપવાની રહેશે.
૨) સદર નીતિ અન્વયે લાભ મેળવવા માટે ફાળવણીદારે પરિપત્ર જારી થયાના દિન ૬૦ એટલે કે તા.૧૯.૦૭.૨૦૨૫ સુધીમાં નિગમને ઓનલાઇન અરજી કરવાની રહેશે. જે ઓનલાઈન અરજી રજુ થયેથી દિન-૩૦ માં નિકાલ કરવાનો રહેશે.
3) અરજી સાથે ફાળવણીદારે નોટરાઇઝડ બાંહેધરીખત દ્વારા સહમતી આપવાની રહેશે કે, તેઓશ્રી ધ્વારા સદર મિલકતનો નિગમના નીતિ નિયમ મુજબ તા.૩૧.૦૧.૨૦૨૭ સુધીમાં વપરાશ કરવામાં આવશે અને જો તેઓ દ્વારા નિયત સમયમર્યાદામાં મિલકતનો વપરાશ કરવામાં નહી આવે તો અગાઉના તમામ વણવપરાશી સમયગાળા માટે નિગમની નીતિ મુજબ વણવપરાશી દંડની રકમ નિગમ દ્વારા વસૂલવામાં આવશે તથા નિગમ દ્વારા જી.પી.પી. એક્ટ હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
૪) અરજી સમયે નિગમના તમામ બાકી લ્હેણાં વસૂલ લેવાના રહેશે.
5) ફાળવણીદારે તા.૩૧.૦૧.૨૦૨૭ સુધીના સમયગાળામાં નિગમના નીતિ નિયમ મુજબ બાંધકામ કરી પ્લોટનો વપરાશ શરૂ કરવાનો રહેશે તેમજ મિલકત વપરાશી હોવાનુ સર્ટીફિકેટ મેળવવા માટે પ્લોટ વપરાશના પુરાવાઓ એટલે કે બાંધકામના ફોટોગ્રાફ્સ, કાયમી વિજ જોડાણનું પ્રમાણપત્ર અને વીજવપરાશનું સ્ટેટમેન્ટ ફાળવણીદારે તા.૩૧.૦૩.૨૦૨૭ સુધીમાં ઓનલાઇન રજુ કરવાનાં રહેશે. જે રજૂ થયેથી ક્ષેત્રીય કચેરી દ્વારા ચકાસણી કરી નિગમના નીતિ નિયમ મુજબ મિલકત વપરાશી જણાયેથી Utilization Certificate ઓનલાઇન જારી કરવાનું રહેશે.
6) જીપીપી એક્ટ હેઠળ જે કિસ્સામાં પ્લોટ/શેડનો કબજો નિગમ દ્વારા પરત લેવામાં આવેલ હોય કે જીપીપી એક્ટ ૧૯૭૨ ની કલમ ૫(૨) હેઠળ પ્લોટનો કબ્જો મેળવવાનો હુકમ કરવામાં આવેલ હોય તેવા ફાળવણીદારોને સદર નીતિ અંતર્ગત લાભ મળવાપાત્ર રહેશે નહી.
7) સદર નીતિ અંતર્ગત જે કિસ્સામાં મૂળ ફાળવણીદાર પેઢીનું માત્ર નામ બદલાતું હોય એટલે કે ૧૦૦ ટકા શેરફાળો જળવાતો હોય અથવા તો મૂળ ફાળવણીદારના મૃત્યુ બાદ તેના વારસદારોના નામે વારસાઈ થયેલ હોય આ પ્રકારના બંને કિસ્સામાં ફાળવણીદારે નિગમની મંજુરી મેળવેલ હોય અથવા મંજુરી મેળવવાની બાકી હોય તેવા કિસ્સામાં નેમ ચેન્જ/વારસાઈની સાથે પ્લોટના વપરાશની સમયમર્યાદા તા.૩૧.૦૧.૨૦૨૭ સુધી વધારી આપવાની રહેશે. વધુમાં, સદર નીતિ અંતર્ગત વધારી આપેલ વપરાશની સમયમર્યાદા દરમ્યાન જો ફાળવણીદારનો ૧૦૦ ટકા શેરફાળો જળવાતો હોય અને માત્ર નેમ ચેન્જ થતું હોય તેવા કિસ્સામાં કોઈપણ પ્રકારની વણવપરાશી દંડની રકમ વસુલ મેળવ્યા સિવાય નેમ ચેન્જની (૧૦૦ ટકા શેરફાળો જળવાતો હોય) મંજુરી આપવાની રહેશે.
૮) સમયમર્યાદા વધારી આપવાની સત્તા વિભાગીય પ્રબંધકશ્રી હસ્તક રહેશે.
૯) સદર નીતિ અંતર્ગત અર્થધટન અંગેના પ્રસંગે સત્તા ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલકશ્રીને હસ્તક રહેશે, જરૂર જણાયે કોઇ કિસ્સામાં ગુણદોષને આધિન નિર્ણય લેવાની સત્તા ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલકશ્રી હસ્તક રહેશે.
નિગમના તમામ વિતરણ અધિકારીશ્રીઓએ આ સુચનાઓની નોંધ લેવી અને તેનો અમલ કરવો. તેમ જણાવાયું છે.